કર્ફ્યુમાં દુકાન ખોલી સિગારેટ ન આપનાર વેપારી પર હુમલો કર્યો
વ્યસનની તલપ ભૂજાવા વ્યસની કોઇ પણ હદે જતો હોવાના સંખ્યા બંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે કર્ફ્યુ દરમિયાન દરમિયાન દાણીલીમડા વિસ્તારમાં દુકાન ખોલી સિગારેટ ન આપનાર વેપારીને યુવકે ફટકાર્યો હતો. જેથી આ મામલે ફરિયાદ થતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જો કે, ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
દાણીલીમડાના બહેરામપુરા વિસ્તારમાં કમરૂદ્દીન અમીનુદ્દીન અંસારી પોતાના પરિવાર સાથે રહે છે અને પોતાના ઘરની બહાર જ કરિયાણાની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શનિ-રવિવારે કર્ફ્યુ જાહેર કર્યો હોવાથી તેમણે દુકાન બંધ રાખી હતી. આ દરમિયાન 22મીને રવિવારના રોજ કમરૂદ્દીન રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના વિસ્તારમાં રહેતો અબ્દુલ કાદીર તેમના ઘર પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી દુકાન ખોલી સિગારેટ આપો. જો કે, કમરૂદ્દીને જણાવ્યું હતું કે, હાલમાં કર્ફ્યુ ચાલી રહ્યો છે તેથી દુકાન ખોલી સિગારેટ આપી શકાય તેમ નથી.
કમરૂદ્દીનની આવી વાત સાંભળી અબ્દુલ કાદીર ગુસ્સે ભરાયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. તે સમયે કમરૂદ્દીને ગાળો ન બોલવા તેને સમજાવ્યો હતો. જો કે, સિગરેટની તલપમાં પાગલ થયેલા અબ્દુલ કાદીરે કમરૂદ્દીન પર હુમલો કર્યો હતો. આ સમયે બુમાબુમ થતા કમરૂદ્દીનની પત્ની સહિતના લોકો આવી જતા તેમને છોડાવ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરતા દાણીલીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ મામલે કમરૂદ્દીને અબ્દુલ કાદીર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
68 , 1