લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા
યુવકના વિશ્વાસઘાત બાદ આવેશમાં આવી યુવતીએ કર્યો આપઘાત
સુરત શહેરના સચિન વિસ્તારમાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખી તરછોડી દેતા યુવતીએ આપઘાત કરી લીધો. પ્રેમીના વિશ્વાસઘાત બાદ યુવતી ડિપ્રેશન હતી જેના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સચીન પોલીસે પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સૂરજ રામચરણ યાદવે તેના ઘર પાસે રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીના પરિવારને આ બાબતની જાણ થઈ હતી. જેથી યુવક સૂરજ યાદવે યુવતીના માતાપિતાને પોતે લગ્ન કરી લેશે તેવું જણાવ્યું હતું.
પરિવારે પણ યુવક-યુવતીના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. યુવાને લગ્ન કરી લેશે તેવું કહીને બે વર્ષ સુધી યુવતી સાથે સંબંધ રાખ્યો હતો. બે વર્ષ સુધી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, સૂરજ બે દિવસ પહેલાં વિશ્વાસઘાત કર્યો હતો. અને યુવતીને તરછોડીને કહ્યું હવે લગ્ન શક્ય નહીં બને. આમ કહી સૂરજે યુવતી સાથે સંબંધનો અંત આણી દીધો હતો.
આ ઘટના બાદ યુવતીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જે બાદમાં યુવતી સતત માનસિક તાણ સાથે ઊંડા આઘાતમાં જતી રહી હતી. જે યુવાન તેની સાથે બે વર્ષ સુધી શારીરિક સંબંધ રાખ્યા તેણે અચાનક લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ આવેશમાં આવીને ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં યુવાને યુવતીનું શારીરિક શોષણ કરીને તરછોડી દેવાનું સામે આવ્યું હતું. જે બાદમાં પોલીસે યુવતીના પ્રેમી સૂરજ યાદવ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસી સૂરજની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે.
68 , 1